
ઊત્તર ભારતમાં આજે દુર્ગાષ્ટમી નિમિત્તે નાની બાળાઓના પગ ધોઇ જમાડવાની પરંપરા....
આજે મોટી આઠમ હોવાથી અંબાજી, પાવાગઢ,ચોટીલા જેવા માઇ મંદિરોમાં પણ ભકતોની ભારે ભીડ, નવરાત્રિ કરતા ભકતો આજે માતાજીની ધૂનમાં મગ્ન બની જાપ કરશે.
વર્ષની આવતી મોટી નવરાત્રિ પૈકી હાલમાં ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે. તેમાં આજે આઠમું નોરતુ છે એટલે કે
આજે આઠમ છે. શહેરના માઇ મંદિરોમાં આજે આદ્યશકિતના યજ્ઞ અને અખંડ ધૂન સાથે ભકિત થશે. આજની આઠમ એટલે કે દુર્ગાષ્ટમી માતા દુર્ગાને રિઝવવા ભકતોની આજે ભારે ભીડ જામશે. રાજયભરના મંદિરોમાં ભકતો દેવી દુર્ગાની પૂજા અર્ચના કરશે જેમાં અંબાજી, પાવાગઢ, ચોટીલા જેવા માઇ મંદિરોમાં આજે પરોઢીયેથી જ યજ્ઞો અને અખંડ ધૂન શરૂ થઇ ગઇ છે.
તો બીજી બાજુ શહેરના ભદ્રકાળી મંદિરમાં પણ આજે યજ્ઞ રાખવામાં આવ્યો છે. કહેવાય છે કે દુર્ગાષ્ટમીના દિવસે યજ્ઞ કરવાથી વિશેષ પુણ્ય મળે છે.
જેથી ભકતો આજે મંદિરમાં વિશેષ યજ્ઞ કરશે તો વળી આજે ગાયત્રી મંત્ર, દુર્ગાજાપ પણ વિશેષ મહત્ત્વ હોવાથી આજે ભકતો તેમાં પણ જોતરાઇ જશે. રાજયના તથા શહેરના અનેક માઇ મંદિરોમાં આજે માતાજીનો અન્નકુટ ભરાશે તો જે ભાવિકો નકોરડા ઊપવાસ રાખી નવરાત્રિ કરતા હશે તેઓ આજે ફરાર કરીને એક ટાણું કરશે તો વળી નવરાત્રિના નોમના દિવસે માતાજીનો ખંડ અને નિવેદ ભરાશે આ નવરાત્રિમાં માતાજીના નિવેદનો મહિમા વધુ છે.
ઘણા ભકતો આજે દુર્ગાષ્ટમીના દિવસે જ માતાજીનો ખંડ ભરશે અને ચણાનો પ્રસાદ કરી મહાઆરતી કરશે. આજની આઠમ મોટી હોવાથી ઘરેઘરે મતા આદ્યાશકિતના પાઠ, પૂજન અને અર્ચના થશે અને જાગરણ કરી માના નામનું ઊચ્ચારણ કરી ભકતો આખી રાત જાપ કરશે.